
મહાન દાનવીર જગડુશાએ બંધાવેલું કચ્છનું પ્રાચીન જૈનતીર્થ પહેલાંના સમયમાં સૌરાષ્ટ્ર પ્રદેશ વિશ્વના કેન્દ્ર સમો હોઈને યુગયુગોથી દેશવિદેશનીપ્રજાઓ અહીં પોતાની કળા,સંસ્કૃતિ અને દેવસ્થાનો સાથે ઊતરી આવી–એમની કળા અને શિલ્પ– સ્થાપત્યમાં એકતા,ક્ષમતા અને સમન્વયનાં લક્ષણો તરી આવે છે.આને કારણે વિવિધ સંપ્રદાય અને ધર્મનાં દેવસ્થાનો તથા મંદિરો બહુધા નજીક નજીકના વિસ્તારોમાં જ જોવા મળે છે. શિલ્પ અને નકશીકામથી ભરપૂર એવા જૈન તીર્થંકરનાં બાવન જેટલાં તીર્થો અને પ્રાચીન દેરાસરો ભદ્રેસર (કચ્છ)માં આવેલાં છે.ઈ.સ. પૂર્વે વિક્રમ સંવત 448માં ભદ્રાવતી નગરી હતી તેમ મનાય છે. ભદ્રેશ્વર એટલે કે પૂર્વકાલીન ભદ્રાવતી. ત્યારે વાવ,કૂવા અને તળાવના અતિરેકને કારણે વાવ કૂવાની નગરી તરીકે ઓળખાતી.આજે વેરણ છેરણ બનેલી ભદ્રાવતી નવા સ્વરૂપે નવા નામે ભદ્રેશ્વરથી ઓળખાય છે. કચ્છ જિલ્લામાં આવેલું ભદ્રેશ્વર- વસઈ તીર્થ જૈનોનું ધામ છે. તે સાથે નોંધપાત્ર ઘટનાઓ અને નામાંકિત વ્યકિતઓના ઇતિહાસથીપ્રતિભાવંત છે.કચ્છના પ્રતાપી પુરુષ જગડુશા ધર્મવીર, દાનવીરની આ જન્મભૂમિ છે. આજે તો આ નગરથી દરિયો ઘણો દૂર છે પણ એક સમયે ભદ્રેશ્વર બંદર હતું અને આયાત નિકાસનું મહત્ત્વનું મથક હતું. સોદાગર જગડુશાનો વિશાળ મહેલ 100 થાંભલા પર આધારિત હતો. આજે 60 થાંભલા તો મોજૂદ છે. એવું કહેવાય છે કે સંવત 1313માં દુકાળ પડયો ત્યારે જગડુશાહે છૂટે હાથે અન્નભંડારો ખુલ્લા મૂકી કીર્તિ મેળવી હતી.તેમણે મુસલમાનોની મસ્જિદો અન મહાદેવનાં મંદિરો બંધાવી આપી ઉપકાર કર્યો હતો. 24મા તીર્થંકર શ્રી મહાવીરના તીર્થ તરીકે ભદ્રેશ્વર જૈન તીર્થં જાણીતું છે. આમ તો ભદ્રેશ્વર નગરીએ ચઢતી-પડતીના ઘણા ઓછાયા જોયા છે,પરંતુ ભદ્રેશ્વરનું મંદિર ઈ.સ. 1078થી ઘણું જૂનું હોવું જોઈએ. તેવો લેખ જૈન મંદિરના જૂના સ્તંભોમાંના એક સ્તંભ ઉપર કોતરેલો છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર વારંવાર થયો હશે. ભદ્રેશ્વર મંદિરનો નકશો આબુ પર્વત ઉપરના દેલવાડાનાં જૈન મંદિરો સાથે સામ્ય ધરાવે છે. આ મંદિરનો સભાગૃહ આશરે 14.7 X 26.1 મીટરનો છે. તેને ફરતી ઓશરીમાં લગભગ 44 દેવકુલીકાયો છે.મુખ્ય મંદિર મહાવીર સ્વામીનું છે.આજુબાજુ યક્ષો,કિન્નરો, પાણીઓ,માનવઆકૃતિઓનું સપ્રમાણ શિલ્પ આયોજન કરાયેલું છે.આ મંદિરમાં વિશાળ અને ઉન્નત સ્તંભોની હારમાળા છે.રંગમંડપના ઘુમ્મટનું ચિત્રકામ (ખાસ કરીને 22મા તીર્થંકર નેમિનાથના વરઘોડાનું,પ્રગટેલી કરુણા પ્રેરિત વૈરાગ્યસાધનાનું અને દીક્ષા કલ્યાણનું આલેખન), તેમ જ સંખ્યાબંધ શિલ્પો આ તીર્થની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. જૈનોના નિયમ પ્રમાણે આ મંદિર ઉત્તરાભિમુખ છે. ઈજાની દીવાલ અને ઉપરની ભૂમિકાની આગળનો ભાગ ઘૂમલીના નવલખા મંદિરની દીવાલ સાથે સરખાવી શકાય. કથકોટ (કચ્છ)નું મહાવીર સ્વામીનું જૈન મંદિર સારંગદેવના રાજ્યકાળ દરમ્યાન બંધાયેલું હતું. પ્રવેશખંડના થાંભલા ઉપરનો લેખ વિક્રમ સંવત 1339 ( ઈ.સ. 1283 ) નો છે. આ મંદિરમાં ચોકીની જે વ્યવસ્થા છે તે અજોડ છે, કારણ કે તેમાં ત્રમ રંગમંડપ ત્રિકોણાકારમાં જોડાયેલા છે. સમગ્ર મંદિર ઘણું મનોરમ્ય છે. દૂરથી જ તેના શિખરો, તેના ઉપર ફરકતી ધજાઓ અને તેમાં ચળકતા કળશો વગેરે જોનારને પાવન બનાવે છે. અન્યના સ્થાનોમાં ભદ્રકાળીનું મંદિર, જૂનો કિલ્લો અને ખંડિયેર વાવ છે તથા ચાર ભાઈબંધોનાં સ્મારકો, ચોખંડા મહાદેવ, ખીમલી મસ્જિદ, લાલશાહ પીરનો કૂવો, રણછોડજીનું મંદિર, મોરલી મંદિર, આશાપુરી માતાનું મંદિર, ભવાની માતાનું મંદિર અને હનુમાનની દેરી પ્રવાસીઓને આવકારે છે. આ મંદિર અને સ્થાન ચાવડા, સોલંકી, વાઘેલા, જાડેજા રાજપૂતોની શાસન- વ્યવસ્થાનું પ્રતિબિંબ પાડતું હોવાથી અભ્યાસીઓ માટે પ્રેરણારૂપ છે. મંદિરની પાસે જ વિશાળ ધર્મશાળા આવેલી છે, જે ધાર્મિક ટ્રસ્ટ સંચાલિત છે. ભદ્રેશ્વર જૈન તીર્થ ભૂજથી 75 કિ.મી. દૂર આવેલું છે. અહીં પહોંચવા માટે એસ.ટી બસો મળી રહે છે. નજીકનું રેલવે મથક અંજાર કે આદિપુર (ક્ચ્છ ગાંધીધામ) છે. બાવન દેરીવાળું, 218 થાંભલા અને 53 શિખરો ગગન સાથે વાતો કરે તેવું કલાકારીથી શોભતું ભદ્રેશ્વર- વસાઈ જૈન તીર્થ મુલાકાતી માટે અગત્યનું છે. અમદાવાદથી રોડ રસ્તે ભૂજ થઈને બદ્રેશ્વર જવાય. |