અકબરને ખાવાનો ભારે શોખ. તેથી મહેલના બગીચામાં વારંવાર મિજબાનીઓ ગોઠવાય. એમાં અકબર દરબારીઓ સાથે બેસીને જાતજાતની વાનગીઓ ખાય ને મજા કરે. તેમાં પણ બીરબલ જોડે હોય એટલે પૂંછવું જ શું ? એકવાર એવી જ એક મિજબાની હતી.બીરબલ અકબરની પાસે જ બેઠેલો. જમવાનું પૂરું થયું પછી ખજૂરની કટોરીઓ આવી. અકબર અને બીરબલ ખજૂર ખાય ને ઠળિયા ખુરશીની નીચે નાખે. થોડીવારમાં તો બંને જણાની ખુરશીઓ નીચે ઠળિયાની નાની નાની ઢગલીઓ થઈ ગઈ. ઢગલીઓ જોઈને અકબરને થયું, '' આજે હું બીરબલની બરોબર ગમ્મત કરું . ''તેમણે તો પોતાની ખુરશી નીચેના ઠળિયા પગથી ખસેડીને બીરબલની ખુરશી નીચે સરકાવી દીધા. બીરબબલને એની ખબર પડી નહીં. એકા એક અકબર ઊભો થયો. પછી બધા દરબારીઓ સાંભળે તેમ મોટેથી બોલ્યો, ''અરે બીરબલ! તું કેટલીં બધી ખજૂર ખાઈ ગયો ? તું આટલો બધો ખાઉધરો છે એની તો મને ખબર જ નહોતી. '' બધા બીરબલની ખુરશી નીચે ઠળિયાનો ઢગલો જોવા લાગ્યા.બીરબલ અકબરની ચાલાકી જાણી ગયો. એ ભારે ચતુર હતો. એની ગમ્મત થાય ને એ ચૂપ કેમ રહે ? એણે તરત અકબરને કહ્યું, ''આપની વાત સાચી છે જહાંપનાહ! હું ખાઉધરો ખરો. મેં ધણા ખાધાં એય સાચું. પણ આપ બધાં ખજૂર ઠળિયા સાથે કેવી રીતે ખાઈ ગયા, એની મને ભારે નવાઈ લાગે છે! '' પછી એણે દરબારીઓને અકબરની ખુરશી નીચે જોવાનું કહ્યું.દરબારીઓએ ત્યાં જોયું તો એકેય ઠળિયો ન મળે. ચારેબાજુ હસાહસ થઈ ગઈ. અકબર બીરબલની મશ્કરી કરવા ગયો પણ મશ્કરી એની જ થઈ ગઈ. અકબર શરમાઈ ગયો. પણ બીરબલ તો એનો માનીતો. એટલે બીરબલને શાબાશી આપી અને સૌએ મિજાબાની મોજ માણી. |