જિગરનો યાર જુદો તો, બધો સંસાર જુદો છે, બધા સંસારથી એ યાર, બેદરકાર જુદો છે. અરે શું જાણશે લઝ્ઝત, પવિત્રીમાં પડી રહેતાં, પ્રિયાની પ્યાલીની મસ્તી તણો કંઈ બહાર જુદો છે. ગણું ના રાવ રાયાને, ગણું ના આખી દુનિયાને, પરંતુ જાન આ પર પ્યારીનો, અખત્યાર જુદો છે. હજારો બોધ મંદિરો મહીં નિત્યે ભલે થાજો, અમો મસ્તાનના ઉત્સાદનો દરબાર જુદો છે. નથી તુજ બાપ માર્યો મેં, અરે મૂર્ખા કહાં નિંદે, સમજ રે બેસમજ કે, પ્રેમીનો આચાર જુદો છે. બધા પરકાર તોફાને થઈ ચંચળ ચૂકે નિશાન, અમારા ચિત્તનો ચારુ અચળ પરકાર જુદો છે. લીધો જે પંથ તે હું કેમ ત્યાગું છો ભર્યો દુ:ખે, પ્રિયાનો માહરી ગરદન ઉપર તો આ ભાર જુદો છે. ઘડીભર બેશ બતલાવું શિખાવું પ્રેમનો જાદૂ, અમો જાદૂગરોનો યાર, જો બાઝાર જુદો છે. શીખે જો પ્રેમ પૂરો તો જ અચળ અભેદ પામે તું, નથી ત્યાં પ્રેમ જ્યાં છે ભેદ, એ વ્યવહાર જુદો છે. થશે શ્રીમંત ઈન્દ્રાદિ થકી, મુજ પંથ પર જાશે, અરે એ કીમિયાનો યાર, જો કંઈ બહાર જુદો છે. કરું શું મોતીમાલા હું ? અનુપમ મારી પ્યારીએ, કર્યો નક્ષત્રનો મારે ગળે શણગાર જુદો છે. ભલે છો માહરા પંથે બધા એ દુ:ખને દેખે, મને તો સુખસાગર લહેરીનો કંઈ બ્હાર જુદો છે. થયો જે પ્રેમમાં પૂરો, થયો છે મુક્ત સર્વેથી, મહા મસ્તાન જ્ઞાનીના મગજમાં તાર જુદો છે. નજર મારી પ્રિયા વિના, ન દેખે જગત આખે, બીજાના બંધકારી પ્રેમનો તો જાર જુદો છે. ગુરુઆદેશ છે અમને, અવળ પંથે પળ્યા જઈએ, દુનિયાથી પછી આ બાલ બેદરકાર જુદો છે. * ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે. દુનિયાની જૂઠી વાણી વિષે જો દુ:ખ વસે છે, જરાએ અંતરે આનંદ ના ઓછો થવા દેજે. કચેરીમાંહિ કાજીનો નથી હિસાબ કોડીનો, જગતકાજી બનીને તું વહોરી ના પિડા લેજે. જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે, ન સારા કે નઠારાની જરાયે સંગતે રહેજે. રહેજે શાંતિ સંતોષે સદાયે નિર્મળે ચિત્તે, દિલ જે દુ:ખ કે આનંદ કોઈને નહીં કહેજે. વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં તેને તજી દેજે, ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે. રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લે, પિયે તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી લેજે. કટુ વાણી સૂણે જો કોઈની, વાણી મીઠી કહેજે, પકાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે. અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માગે તો, ન માગે તો દોડતું આવે ન વિશ્ર્વાસે કદી રહેજે. અહો શું પ્રેમમાં રાચે નહીં ત્યાં સત્ય પામે તું ? અરે તું બેવફાઈથી ચડે નિંદા તણે નેજે. લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે, અરે એ કીમિયાની જે મઝા છે તે પછી કહેજે. વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી, વફાદારી બતા’વા ત્યાં નહીં કોઈ પળે જાજે. રહી નિર્મોહી શાંતિથી રહે એ સુખ મોટું છે, જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે. પ્રભુના નામનાં પુષ્પો પરોવી કાવ્યમાળા તું, પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રિતે દેજે. કવિરાજા થયો શી છે પછી પીડા તને કાંઈ ? નિજાનંદે હમેશાં બાલ મસ્તીમાં મઝા લેજે. * |